સુરત ગ્રામ્યના માંડવી તાલુકાના તડકેશ્વર ગામની સીમમાં તસ્કરોએ કટર વડે વીજ લાઇન કાપી લાખોની કિંમતના એલ્યુમિનિયમ વાયરોની ચોરી કરતા ચકચાર મચી જવા પામી છે. DGVCLના જુનિયર ઈજનેર દ્વારા આ મામલે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગત અનુસાર અરેઠ DGVCL પેટા વિભાગમાં જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવતા સમીરકુમાર તુલસીભાઈ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ ચોરીની ઘટના ગત તા. ૧૩/૧૧/૨૦૨૫ની રાત્રિથી ૧૪/૧૧/૨૦૨૫ની સવાર દરમિયાન બની હતી. તડકેશ્વર ગામની સીમમાં કાકરાપાર જમણા કાંઠાની નહેર પાસે આવેલી ૧૧ KV ‘વરેઠી ખેતીવાડી’ હાઇટેન્શન લાઇનને તસ્કરોએ નિશાન બનાવી હતી. જેમાં ૫૫ એમ.એમ. સ્કેવરના એલ્યુમિનિયમ વાયરો (૩ વીજ વાયરો). આશરે ૭,૧૫૫ મીટર.અંદાજે ૮૫૮ કિલોગ્રામ.કુલ કિંમત રૂપિયા ૨,૭૪,૫૮૭/-ની મત્તાની ચોરી કરી હતી.વીજ લાઇન બંધ હોવાની જાણ થતા ઈજનેર અને તેમની ટીમે તપાસ કરી હતી, જેમાં ૫૫ જેટલા સિમેન્ટના થાંભલાઓ પરથી વાયરો કપાયેલી હાલતમાં મળી આવ્યા હતા. વિભાગીય પ્રક્રિયા અને પંચનામું પૂર્ણ કર્યા બાદ, ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ગત રોજ માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

