અમરેલી: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમરેલી ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે ‘વિરાસતથી વિકાસ’ના મંત્રને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે.
મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ગુજરાતના ચાર મુખ્ય સ્તંભ તરીકે ગરીબો, યુવાનો, કિસાનો અને નારીશક્તિને ગણાવી રાજ્યના વિકાસની દિશા રજૂ કરી હતી. તેમણે ૨૦૩૫માં ગુજરાતના ૭૫મા સ્થાપના વર્ષ અને ૨૦૪૭માં વિકસિત ગુજરાતના લક્ષ્યને સાકાર કરવા સૌને એકજૂટ થવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ મહત્વપૂર્ણ જાહેરાતો કરતાં જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત પાસે પૂરતી જમીન ઉપલબ્ધ ન હોય તો પાત્ર ગ્રામ્ય પરિવારોને વિનામૂલ્યે પ્લોટ આપવા ખાનગી જમીન પણ ખરીદવામાં આવશે. રાજ્યના ૨૧૦ કિમીના ૨૧૪ રસ્તાઓના નવીનીકરણ માટે રૂ.૩,૪૨૮ કરોડ ફાળવવામાં આવ્યા છે.
આંગણવાડીના ૩થી ૬ વર્ષના બાળકો માટે પૂરક પોષણના સ્થાનિક ખરીદી દરમાં ૬૭ ટકાનો વધારો કરી પ્રતિ બાળક દૈનિક રૂ.૫.૧૦ના બદલે રૂ.૮.૫૦ કરવામાં આવ્યા છે. જ્યારે વિદેશ અભ્યાસ માટે બિનઅનામત વર્ગના યુવાનોને મળતી લોન માટેની કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા રૂ.૬ લાખથી વધારી રૂ.૧૦ લાખ કરવામાં આવી છે.
ઉજવણી દરમિયાન પોલીસ પરેડ, દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગ નિદર્શન, મહિલા રાયફલ ડ્રિલ, મોટરસાયકલ સ્ટંટ, ડોગ શો અને અશ્વ શો સહિતની વિવિધ પ્રસ્તુતિઓએ ઉપસ્થિત જનમેદનીમાં ઉત્સાહ જગાવ્યો હતો. અંતે મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં નાગરિકોનું અભિવાદન ઝીલ્યું અને વૃક્ષારોપણ કર્યું હતું.


