ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં સતત વધારો થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળો વકરતા ટાઈફોઈડના કુલ કેસનો આંકડો 200ને પાર કરી ગયો છે. સત્તાવાર માહિતી મુજબ, ગાંધીનગરમાં અત્યાર સુધીમાં ટાઈફોઈડના કુલ 205 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેણે સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાવ્યો છે.
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં હાલમાં ટાઈફોઈડના 70 દર્દીઓ સારવાર હેઠળ છે. રાહતની વાત એ છે કે, યોગ્ય સારવાર બાદ અત્યાર સુધીમાં 13 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જોકે, નવા કેસો સામે આવવાનું ચાલુ રહેતા હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા અને દવાનો જથ્થો પૂરતો રાખવા સૂચના આપવામાં આવી છે.
રોગચાળાને કાબૂમાં લેવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી યથાવત્ રાખવામાં આવી છે. આરોગ્ય ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને પાણીના સેમ્પલ લેવા, ક્લોરીનેશનની તપાસ કરવી અને બીમાર લોકોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ખાસ કરીને દૂષિત પાણી અને ખોરાકને કારણે ટાઈફોઈડ ફેલાતો હોવાથી તંત્ર દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા અને બહારનો ખુલ્લો ખોરાક ન ખાવા અપીલ કરવામાં આવી છે.

