દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામે રહેતા નયનાબેન વસંતલાલ પંચાલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિની સંતરામપુર હાઇવે પર વાસણામાં ફર્નિચરની દુકાન છે. જૂન 2023માં મારા દીકરા મેહુલને જ્વેલર્સનો ધંધો કરવા માટે પૈસાની જરૂરિયાત હોવાથી અક્ષર ચોક પાસે આવેલ સહયોગ ફાઈનાન્સવાળા નયનાબેન મળ્યાનો સંપર્ક કર્યો હતો. તેઓ દ્વારા લોન નહીં થતાં તેમણે મારો સંપર્ક વિજય મોહનભાઈ સાવલિયા (રહે.ચામુંડા નગર સોસાયટી, વાઘોડિયા રોડ) સાથે કરાવ્યો હતો. તેણે 1 કરોડની લોન કરી આપવાનો કહી અમારી પાસેથી 20 લાખ રૂપિયા લીધા હતા. પરંતુ લોન કરાવી આપી ન હતી.
જેથી અમે પૈસા બાબતે તેઓને ફોન કરતા તેઓ રિસીવ કરતા ન હતા અને તેમનો ચેક પણ બાઉન્સ થયો હતો. જેથી ગત 22મી નવેમ્બરે હું મારા પતિ તથા મારો ભત્રીજો વિજય સાવલિયાના ઘરે ગયા હતા. અમે વિજય સાવલિયા પાસે તેના નામના ચેક માંગતા તે ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગ્યો હતો અને મારા ખભાના ભાગે બચકું ભરી દીધું હતું. માથામાં મુક્કા મારવા લાગ્યો હતો તે સમયે વિજય સાવલિયાના પત્ની દામિનીબેન તથા તેમની બે દીકરીઓ પણ દોડી આવ્યા હતા અને તેઓએ પણ અમને માર માર્યો હતો. તે દરમિયાન અન્ય લોકો પણ તેમની પાસે પૈસા લેવા માટે આવ્યા હતા. વિજય સાવલિયાએ ઘરમાં જતા જતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ અમારે સમાધાનની વાતચીત ચાલતી હતી પરંતુ સમાધાન નહીં થતાં ફરિયાદ કરી હતી.

