સુરતનાં પલસાણાના તાતીથૈયા ગામમાં સોનાલી મિલમાં મીલની કેન્ટીનમાં પાણી પીવા બાબતે કામદારો વચ્ચે ઝઘડો થયો હતો તેની અદાવત રાખી સાથી મિત્રોએ ભેગા મળીને હુમલો કરતા ફુલેન્દર ચૌહાણનું મોત નિપજ્યું હતું. જયારે અન્ય એક ઈસમની હાલત ગંભીર છે. પોલીસે હત્યામાં સંડોવાયેલા છ શખ્સોની શનિવારે ધરપકડ કરી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, તાતીથૈયા ગામમાં સોની પાર્કમાં જીતુભાઈની બિલ્ડિંગમાં છેલ્લા બે વર્ષથી લવકુશ રામનરેશ ચૌહાણ તેના મોટાભાઈ અખિલેશ ચૌહાણ, મુકેશ ચૌહાણ અને રવી ચૌહાણ સાથે રહે છે અને મીલમાં મજૂરી કામ કરે છે.
લવકુશ, ભાઈ અખિલેશ, રવિ, આકાશ, રાજમડી, રાજકુમાર, કુલેન્દર અને બીજા કારીગરો મીલમાંથી નીકળી ચાલતા રૂમ ઉપર જતા હતા.
ત્યારે કેન્ટીનમાં પાણી આપવા બાબતે થયેલી ઝપાઝપીની અદાવતમાં તાતીથૈયાની રામદેવ સોસાયટી પાસે રૂપમ ચૌરસીયા, તેની સાથે ભાનુ, વંસકુમાર, સંદિપ, બબલુ ચૌરસીયાએ બે મોટર સાયકલ પર આવીને લવકુશ ચૌહાણ સાથે બોલાચાલી કરી હતી. ત્યારે ભાનુ પરહારએ ફુલેન્દર ચૌહાણ અને અખિલેશ ચૌહાણને છાતીના ભાગે ચપ્પુનો ઘા ઝીંકી દીધા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે કડોદરાની મોદી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફુલેન્દર ચૌહાણનું મોત નિપજ્યું હતું. જયારે અખિલેશ ચૌહાણની હાલત ગંભીર હોઈ હાલ સારવાર હેઠળ છે. લવકુશ ચૌહાણે રૂપમ ચૌરસીયા, પવન શાહ, સાજન શાહ, સિંગ, સંદિપ ચૌસિયા, ભાનુ પરિહાર, ભબલુ ચોરસિયા( તમામ રહે તાતીથૈયા)વિરુદ્ધ કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છ શખ્સોની ધરપકડ કરી હતી.


