ભાવનગર અને બોટાદ જિલ્લા તેમજ ઉપરવાસમાં ચોમાસાના પ્રારંભે જ સાર્વત્રિક મેઘમહેરથી બન્ને જિલ્લાના ડેમોમાં જળસપાટીની સ્થિતિ સુધરી છે. જેના કારણે ઉનાળામાં પીવા અને પિયતના પાણીની ચિંતા ઘટશે તેવી આશા જાગી છે. ભાવનગર અને બોટાદ જિલ્લામાં ૧૫ જળાશયો આવેલા છે. જેમાંથી સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ બે વખત ઓવરફ્લો થઈ ગયો છે અને હાલ પણ ડેમમાં પાણીની સ્થિતિ ૧૦૦ ટકા છે.
આ ઉપરાંત મહુવાના બગડ ડેમ, રોજકી અને રાણપુરના ઉતાવળી (ગુંદા) ડેમમાં હાલનું ગ્રોસ સ્ટોરેજ ૧૦૦ ટકા છે.
મહુવાનો માલણ અને ઉમરાળાનો રંઘોળા ડેમ ઓવરફ્લો થવાની અણીએ છે. આજ સવારની સ્થિતિએ માલણમાં ૯૯.૨૧ ટકા અને રંઘોળામાં ૯૯.૧૩ ટકા જળસંગ્રહિત છે. બે ડેમમાં ૮૦ ટકાથી વધુ, બે ડેમમાં ૭૦ ટકાથી વધુ અને ત્રણ ડેમમાં ૪૦ ટકાથી ઓછો જળસંગ્રહ છે. તળાજાના જસપરા (માંડવા) ડેમમાં ૧લી જૂનની સ્થિતિએ ૩૫.૯૫ મીટર પાણી હતું. જેમાં વધારો થવાના બદલે ઘટાડો થતાં ૩૪.૬૦ મીટર પાણી રહ્યું છે. ઘોઘાના લાખણકા ડેમમાં સવા માસની અંદર ૧.૩૦ મીટર પાણી વધતા હાલની સપાટી ૩૮.૭૦ મીટરે પહોંચી છે.


