વલસાડ જિલ્લાનાં કપરાડાનાં ઓઝરડા ગામે ઘરની વીજળી ડૂલ થઇ જતા વીજ વાયર ચેક કરવા ગયેલા યુવકનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું. બનાવ અંગેની ફરિયાદ નાનાપોંઢા પોલીસ મથકમાં નોંધાઈ હતી. 
મળતી માહિતી મુજબ, કપરાડાનાં ઓઝરડા ગામનાં ઓઝર ફળિયામાં રહેતા પ્રવીણભાઈ નવસુભાઈ વાઘાત (ઉ.વ.૩૫) ટ્રેક્ટર ચાલક તરીકે ફરજ બજાવતા હતા. જોકે શનિવારે તેમના ઘરમાં વીજળી ડૂલ થઇ હોઈ પ્રવીણભાઈ તેમના ઘરના વીજ વાયરો ચેક કરી રહ્યા હતા. તે દરમિયાન એક વીજ વાયરનો એક છેડો પ્રવીણભાઈના હાથમાં ચોંટી જતા તેમને વીજ કરંટનો ઝાટકો લાગતા તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યારબાદ ઘટના સ્થળે દોડી આવેલ પ્રવીણભાઈના નાનાભાઈ ગોવિંદભાઈએ તેમના મોટા ભાઈના હાથમાં ચોંટી ગયેલો વાયર કાઢી લીધો હતો. ત્યારબાદ પ્રવીણભાઈને સારવાર માટે નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રવીણભાઈને સારવાર મળે તે પહેલા જ મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગેની ફરિયાદ નાનાપોંઢા પોલીસ મથકમાં નોંધાઈ હતી.


