વલસાડ જિલ્લાના ભીલાડના નરોલી કાકડ ફળિયામાં રહેતા વીરલભાઈ જતરભાઈ ગાંગોડા (મૂળ રહે.ડોલવણ,તાપી) અને તેમના મિત્રો સુનીલભાઈ સુરેશભાઈ ગામીત તથા પરશુભાઈ મુકુંદભાઈ ભગરે (ઉ.વ.૨૯, રહે.નરોલી, મૂળ કપરાડા) સરીગામ GIDC કંપનીમાં નોકરી કરે છે. જોકે ગુરુવારે સવારે આશરે આઠ વાગ્યે નાઈટ શિફ્ટની નોકરી પૂરી કરી ત્રણેય મિત્રો બાઈક લઈને નરોલી જવા નીકળ્યા હતા.
તે દરમિયાન સવારના આશરે ૮:૩૦ વાગ્યાના અરસામાં ભીલાડ તળાવપાડા કટ નજીક સરકારી શૌચાલયની સામે ટ્રકના ચાલકે ટ્રક બાઈકને પાછળથી ટક્કર મારતા ત્રણેય મિત્રો રોડ પર પટકાયા હતા.
જેમાં કમનસીબે પાછળની સીટ પર બેસેલા પરશુભાઈ મુકુંદભાઈ ભગરેના માથા પરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેમને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતને પગલે આજુબાજુથી લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ત્રણેયને ભીલાડ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે પરશુભાઈ ભગરેને તપાસી મૃત જાહેર કર્યા કર્યા હતા. જ્યારે બાઇક ચાલક વીરલભાઈ અને સુનીલભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી ભાગવા જતાં ટ્રક ચાલક બીરેનકુમાર સત્યનારાયણ રાય (રહે.ભીમપોર, દમણ)ને લોકોએ ઘટના સ્થળે જ ઝડપી લીધો હતો. અકસ્માત અંગે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવતા ભીલાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


