કપરાડાનાં સુખાલા ગામનાં ૫૦ વર્ષીય રહીશ મોટર ચાલુ કરવા જતા તેમને વીજ કરંટ લાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે રહીશને મૃત જાહેર કર્યો હતો.
મળતી માહિતી મુજબ, કપરાડાનાં સુખાલા ગામનાં માજપાડા ફળિયામાં રહેતા દિપકભાઈ નગીનભાઈ પટેલ (ઉ.વ.૫૦) સાંજે આશરે ૪ વાગ્યે તેમના ઘરની બાજુમાં પાણીની ટાંકી ભરવા માટે પાણીનો મોટર ચાલુ કરવા ગયા હતા. મોટરમાં ભેજ લાગી ગયો હોય, દીપકભાઈને વીજ કરંટનો ઝટકો લાગ્યો હતો. જે બાદ દીપકભાઈને ખાનગી વાહનમાં સારવાર માટે નાનાપોંઢાની ચિરંજીવી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે દીપકભાઈને સારવાર મળે તે પહેલા મૃત જાહેર કર્યો હતો. જે બાબતની ફરિયાદ નાનાપોંઢા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે અકસ્માત મોત મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


