સાવરકુંડલા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે સાવરકુંડલના મઢડા ગામે ખેતી કામ કરતાં વ્યક્તિને આડા સંબંધો હોવાનો વહેમ રાખી 9 જેટલા લોકોએ ખેડૂતને વૃક્ષ સાથે દોરડા વડે બાંધી પાઇપ, લાકડી અને ગડદાપાટુંનો માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સાવરકુંડલાના વીરડી ગામના વતની પરષોત્તમ ભાઈ ઉર્ફે સનાભાઇ ગોહિલ (ઉ.વ.45) મઢડા ગામે ભાગવી ખેતીની જમીન રાખી ખેતી કરતા હતા.
ત્યારે આડા સંબંધનું મન દુઃખ રાખી 9 જેટલા લોકોએ વૃક્ષ સાથે દોરડા વડે બાંધી પાઇપ,લાકડી અને ગડદાપાટુંનો ઢોર માર માર્યો હતો. ત્યારબાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત સનાભાઇ ગોહીલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 9 જેટલા લોકોએ ભેગામળીને ખેડૂતને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યા હતો. મૃતકના ભાઇએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં 9 લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


