ગાંધીનગરનાં મગોડી ગામમાં બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ મળીને ૬.૫૦ લાખ રૂપિયાની ચોરી થયાની ફરિયાદ ચિલોડા પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, મગોડી ગામમાં રહેતા પંકજકુમાર આદીતરામ પટેલ ખાનગી દવાખાનામાં નોકરી કરવાની સાથે ખેતી કામ પણ કરે છે. તેમનો પુત્ર અમદાવાદ ખાતે રહેતો હોવાથી દર શનિ રવિ તેઓ મકાન બંધ કરીને અમદાવાદ ખાતે જાય છે. 
ગત શુક્રવારના રોજ તેમણે તેમની પત્ની અને માતાને અમદાવાદ પુત્રના ઘરે મોકલ્યા હતા અને બપોરે તેઓ તેમનું ઘર બંધ કરીને અમદાવાદ ગયા હતા. આ દરમિયાન સવારના સમયે તેમના ભાઈએ ફોન કરીને જાણ કરી હતી કે તેમના મકાનનું તાળું તૂટેલું છે. જેના પગલે પંકજભાઈ પરિવાર સાથે મગોડીના ઘરે આવી ગયા હતા અને જોયું તો ઘરની ગ્રીલ અને દરવાજાના તાળા તૂટેલા હતા. ઘરની અંદર રાખેલી તિજોરી પણ તોડેલી હતી અને તેનો સામાન બહાર ફેંકાયેલો હતો. જેમાંથી ૫.૫૦ લાખ રૂપિયા રોકડા અને એક લાખ રૂપિયાના દાગીના મળી ૬.૫૦ લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો દાખલ કરીને તેમને પકડવા માટે દોડધામ શરૂ કરી હતી.


