વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સતીષાણા ગામમાં પાંચ વર્ષની માસૂમ બાળકીની અપહરણ બાદ હત્યાની હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકને શોકમાં ગરકાવ કરી દીધો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે બાળકીની હત્યા તેના પાડોશમાં રહેતા કુટુંબી કાકા અજય લક્ષ્મણ રાઠોડીયાએ પ્રેમ સંબંધની અદાવત રાખીને કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વિગતો પ્રમાણે 14 જૂનની મધરાતે દિવ્યા નામની પાંચ વર્ષની બાળકી પોતાના દાદા સાથે ઘરના આંગણામાં ખાટલા પર સૂતી હતી. આ દરમિયાન રાત્રે આશરે દોઢ વાગ્યે આરોપી અજય રાઠોડીયા બાળકીનું અપહરણ કરીને ગામના છેવાડે લઈ ગયો હતો.પોલીસ તપાસ મુજબ, બાળકી રસ્તામાં ઊંઘમાંથી જાગી જતાં આરોપીએ ભાંડો ફૂટી જવાની ભીતિથી તેના ગળામાં દોરી બાંધી ટૂંપો આપી હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમાં મૂકી તેમાં પથ્થર અને ઈંટો ભરી દોરડાથી થેલી બાંધી નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો.
બાળકી ગુમ થતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ ભાળ મળી ન હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજી અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમોએ સઘન તપાસ હાથ ધરી હતી. ત્રણ દિવસની શોધખોળ બાદ વણીયાદ નજીકની નર્મદા કેનાલમાંથી બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.તપાસ દરમિયાન પોલીસે કેટલાક શંકાસ્પદોની પૂછપરછ કરી હતી. કડક પૂછપરછ દરમિયાન અજય લક્ષ્મણ રાઠોડીયાએ બાળકીનું અપહરણ કરીને હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેની સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અજય રાઠોડીયાનો બાળકીની માતા સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. આ સંબંધને લઈને બંને વચ્ચે વારંવાર વિવાદ થતો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આ જ અદાવત રાખીને આરોપીએ પ્રેમિકા સામે બદલો લેવા માટે માસૂમ બાળકીની હત્યા કરી હોવાનું કબૂલ્યું છે.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ હત્યાના તમામ કારણો અને સંજોગો વધુ સ્પષ્ટ થશે. ઘટનાને પગલે સતીષાણા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.


