સુરત જિલ્લાનાં અરેઠનાં પાતલ ગામે ખેતરમાં પાણી વાળતી વખતે વીજ કરંટ લાગવાથી એક પ્રૌઢનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે તડકેશ્વર પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, પાતલ ગામના હોળી ફળિયામાં રહેતા ૫૯ વર્ષીય જયંતિલાલ નમલાભાઈ ગામીત તારીખ ૨૬ મે’ના રોજ સાંજના આશરે સાડા છ વાગ્યાના અરસામાં સીમમાં આવેલા જશવંતભાઈ ગામીતના શેરડીના ખેતરમાં પાણી વાળી રહ્યા હતા.
તે દરમિયાન ખેતરમાંથી પસાર થતી વીજલાઇનના થાંભલા સાથે તેઓ અકસ્માતે અડી ગયા હતા, જેના કારણે તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જોકે ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે અરેઠની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના પુત્ર વિજયભાઈ ગામીતે તડકેશ્વર પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ કાળીદાસભાઈએ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

