વલસાડ જિલ્લાનાં ચિંચાઈ ગામે પટેલ પરિવારના સભ્યો ઘર બંધ કરી કામકાજ માટે અલગ અલગ સ્થળોએ જવા માટે નીકળ્યા હતા. ત્યારે ગામમાં દિન દહાડે ત્રાટકેલા અજાણ્યા ચોરટાઓએ ખેડૂતના બંધ મકાનમાં પ્રવેશ કર્યો હતો. બંધ મકાનમાં ત્રાટકેલા ચોરટાઓએ ઘરના કબાટોમાં કપડાં સહિતની ચીજવસ્તુઓ યથાવત રાખી ચોરટાઓએ ઘરના અલગ અલગ કબાટોની તિજોરીમાંથી રૂ.૩.૨૧ લાખથી વધુના સોના-ચાંદીનાં ઘરેણાં લઈ ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, વલસાડનાં ચિંચાઈ ગામના નવી નગરી ફળિયામાં જયંતિભાઈ મગનભાઈ પટેલ ખેડૂત છે. તેમની પત્ની ભારતીબેન ગામમાં આશાવર્કર તરીકે ફરજ બજાવે છે. તેમની પુત્રી કિન્નરીબેન શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે છેલ્લા ૧૦ દિવસથી જયારે પુત્ર મંથન ગોવા ખાતે વેટરનરી તબીબ તરીકે ફરજ બજાવે છે.
ગત તારીખ ૧૬/૦૫/૨૦૨૬ નારોજ જયંતિભાઈ પત્ની ભારતીબેનને આશાવર્કર મિટિંગમાં હાજરી આપવા જવા નીકળ્યા હતા. તે સમયે જયંતિભાઈએ ઘરના મુખ્ય દરવાજાને તાળું મારવાનો પ્રયાસ કર્યો હતો. તાળું વાંકું વળી ગયું હોય અને તાળું નહીં લાગતા, તેઓ ઘરના મુખ્ય દરવાજાના અડાગરા મારી નીકળી ગયા હતા. ત્યારબાદ તેઓ ઘરે આવી આરામ કરી રહ્યા હતા. મુખ્ય દરવાજાને તાળું નહિ લાગવા બાબતે જયંતિભાઈને ચોરી થઈ હોવાની શંકા થઈ હતી. તેમણે પરત આવેલી પત્ની ભારતીબેન સાથે ઘરના કબાટની તપાસ કરી હતી. તપાસમાં ઘરના અલગ અલગ કબાટોમાં મૂકેલા કપડાં સહિતની ચીજવસ્તુઓ સલામત રીતે મળી આવી હતી.
પરંતુ ઘરના અલગ અલગ કબાટોની તિજોરીમાંથી રૂ.૩,૦૨,૬૩૧ની કિંમતના સોનાના અલગ અલગ ઘરેણાં અને રૂ.૧૯,૧૫૬ની કિંમતના ચાંદીના ઘરેણાં મળી કુલ રૂ.૩,૨૧,૭૮૭ની કિંમતના ઘરેણાં લઈને ફરાર થઈ ગયાનું જણાયું હતું. બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસે અજનય તસ્કરો સામે ગુન્હો નોંધી જરૂરી તપાસ હાથ ધરી હતી.

