Explore

Search

June 12, 2026

Contact us -7820092500

IAS Coaching

કલોલની એડિશનલ સેશન્સ કોર્ટે સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારી

ગાંધીનગરનાં કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ સગીરાને લાલચ આપીને અપહરણ કરી વટવા ખાતે લઈ જઈને તેની ઉપર બળાત્કાર ગુજારનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ કેસ કલોલની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને ૨૦ વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે. આ કેસની મળતી વિગતો પ્રમાણે, કલોલ તાલુકાનાં પાનસર ગામના મેહુલ ઈશ્વરભાઈ રાવળ દ્વારા સગીરાનુ અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને વટવા જીઆઈડીસી અને નારોલ જીઆઇડીસી ખાતે લઈ જઈને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

જે સંદર્ભે સગીરાના વાલીએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુન્હો દાખલ કરાવ્યો હતો અને જે કેસ કલોલના પાંચમાં એડિશનલ સેશન્સ જજશ્રી બી.આર રાજપુતની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ આર.એલ. પટેલ દ્વારા ભોગ બનનાર તેમજ ફરિયાદી અને તપાસ અધિકારીની જુબાની લેવામાં આવી હતી અને ૩૬ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરી ૧૩ સાહેદોની જુબાની લીધી હતી. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે, આરોપીએ ગંભીર પ્રકારનો ગુન્હો આચર્યો છે. આવા કેસમાં સખતમાં સખત સજા થવી જોઈએ. સમાજમાં દાખલો બેસે તે પ્રકારે અને આવા ગુનાઓ બનતા અટકે તે માટે આરોપીને કાયદામાં દર્શાવેલી સજા કરવી જોઈએ. જેના પગલે કોર્ટ દ્વારા આ ગુન્હામાં આરોપી મેહુલ ઈશ્વરભાઈ રાવળને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી.

Advertisement
error: Content is protected !!