સુરત જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યો છે સુરતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં બારડોલી નગર પણ વરસાદથી પાણી પાણી થયું છે બારડોલી નગરના આશાપુરી મંદિર નજીક વરસાદી પાણી ભરાયા છે. ત્યારે શાસ્ત્રી રોડથી આશાપુરા મંદિરે જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. વરસાદી પાણી ભરાતા વાહન ચલાકો તેમજ રાહદારીને ભારે હાલાકી પડી રહી છે. સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદને કારણે બારડોલી સુગર નજીક ગરનાળુ પાણીમાં ગરકાવ થયું છે.
ગરનાળામાં પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને વાહનોની અવરજવર કરવા માટે રેલવે ફાટકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે અનેક લોકો ફસાયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકો રસ્તામાં ફસાયા છે. બે ત્રણ કલાક સુધી વાહનોના કારણે ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. બીજી તરફ વરસાદનાં કારણે રાંદેર કતારગામને જોડતો કોઝવે ઓવરફ્લો થયો છે અને કોઝવે ઓવરફ્લો થતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
હાલમાં કોઝવે નજીક કોઈ મોટી દુર્ઘટના ના બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં પાણી ભરાયા છે. તમને જણાવી દઈએ કે આજે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સુરત શહેરમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. કામરેજમાં 6.50 ઇંચ, પલસાણામાં 5.39 ઇંચ, બારડોલીમાં 4.09 ઇંચ, ઓલપાડમાં 3.66 ઇંચ, માંડવીમાં 2.76 ઇંચ, માંગરોળમાં 2.28 ઇંચ અને ચોર્યાશીમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે.


