સુરતમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. થોડા સમય પહેલાં સુખપ્રીત કૌર નામની મોડલે આત્મહત્યા કરી હતી. ત્યારબાદ વધુ એક મોડલે આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. સુરતની 23 વર્ષીય અંજલિ વરમોરા નામની મોડલે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તબક્કે માનસિક તણાવના લીધે મોડલે આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પંચનામું કરી મોડલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, સુરતના અઠવા વિસ્તારમાં 23 વર્ષીય અંજલિ વરમોરા નામની મોડલે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લીધી છે. અંજલિએ પંખા પર દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. અંજલિ વરમોરાનો મોતના કારણે અનેક સવાલો ઉભા થયા છે.
પ્રાથમિક તબક્કે માનસિક તણાવના લીધે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરીને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઉપરાંત મોડલના મોબાઇલ સહિતની તપાસ ચાલી રહી છે. જોકે હાલમાં મૃતદેહ પાસેથી સ્યુસાઇડ નોટ મળી છે કે નહી અંગે જાણી શકાયું નથી. આ કેસની તપાસમાં ચોંકાવનારા ખુલાસાની સંભાવના છે. આ પહેલા સુરતના સારોલીમાં રહેતી મોડલે કોઈ કારણસર આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હતું.
આપઘાતના સમાચાર સાંભળીને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. આ મામલે પોલીસે તપાસનો દૌર શરૂ કર્યો છે. 19 વર્ષીય સુખપ્રિત લખવીન્દર સિંહ કૌર તેની બહેનપણીના ઘરના બેડરૂમમાં કોઈ કારણસર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. તે મુળ મધ્યપ્રદેશના શિવપુરીની વતની હતી અને 4-5 દિવસ પહેલા સુરત આવીને બહેનપણી સાથે રહેતી હતી. પોલીસ તપાસમાં મહેન્દ્ર રાજપૂત નામનો યુવક બ્લેકમેઇલ કરતો હોવાનો ખુલાસો થયો હતો. સુખપ્રીત કૌરને માર મારીને આરોપી માનસિક ત્રાસ આપતો હતો. બનાવ અંગે સારોલી પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


