સુરતના કડોદરાના આંત્રોલી ખાતે હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. મામદેવના મંદિરે દર્શન કરવા માટે ગયેલા ચાર મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં અંગત અદાવતમાં હરિલાલ નામના યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખવામાં આવ્યો હતો. અંગત અદાવતમાં મિત્રોએ જ મિત્રની હત્યા કરી હતી. આરોપીએ ગળાના ભાગે છરીના ઘા મારીને મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
હરિલાલને માર્યા બાદ તમામ મિત્રો ફરાર થઈ ગયા હતાં. ત્યાર બાદ તેને લોહિલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હત્યાની ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બે શકમંદ મિત્રોની પુછપરછ કરી હતી. જ્યારે એક મિત્રની શોધખોળ હાથ ધરી છે. તપાસ દરમિયાન પ્રેમ પ્રકરણમાં હરિલાલની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આરોપીઓ પકડાયા બાદ જ સાચી હકીકત સામે આવશે. પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

