સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં કારેલી ગામની સીમની ખાનગી કંપનીમાં કામ કરતી વખતે લોખંડની પ્લેટ અને યાન બોક્સ ૩૦ વર્ષીય શ્રમજીવી પર પડતા યુવકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, મૂળ બિહારના મુઝફ્ફરપુરના વતની અને હાલ કડોદરાની બાલાજી રેસિડેન્સીમાં રહેતા ૩૦ વર્ષીય સુશાંતકુમાર સંજયકુમાર શાહી કારેલી ગામની સીમમાં આવેલ ‘કેજરીવાલ જીઓ ટેક પ્રા. લિ.’ કંપનીના ડિસ્પેચ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા.
તારીખ ૧૪ નારોજ બપોરનાં અરસામાં તેઓ એફ-૯ રેકમાંથી નીચે ઉતારેલા યાન બોક્સ પર માર્કિંગનું કઆમ કરી રહ્યા હતા.
તે દરમિયાન અચાનક રેકમાં રાખેલી લોખંડની ભારેભરખમ પ્લેટ અને તેની પર મૂકેલા અન્ય યાર્ન બોક્સ સુશાંતકુમાર પર પડ્યા હતા. આથી સુશાંતકુમારને માથાના ભાગે ‘ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે ભારે અફરાતફરી મચી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં શ્રમિકને તાત્કાલિક સારવાર અર્થે બગુમરા ગામ, હલધરૂ પાટિયા પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે પલસાણા પોલીસે આ મામલે અકસ્માત મોત અંગે નોંધ લઈને કાર્યવાહી હાથ ધરી હતી.


