સોનગઢ તાલુકાના અગાસવાણ ગામની સીમમાં આજરોજ સવારે એક અકસ્માતની ઘટના સામે આવી છે. વ્યારા-ખેરવાડા રોડ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક મોટરસાઇકલે રસ્તે ચાલતા જઈ રહેલા એક આધેડને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે આધેડનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, અગાસવાણ ગામના આંબા ફળિયામાં રહેતા ૫૬ વર્ષીય સામાભાઈ રામસિંગભાઈ ગામીત સવારના સમયે રસ્તે ચાલીને પોતાના ખેતરે જઈ રહ્યા હતા. તે દરમિયાન તે જ ગામના નિશાળ ફળિયામાં રહેતા ગનાભાઈ લાશાભાઈ ગામીતે પોતાની મોટરસાઇકલ પૂરઝડપે હંકારી આવી સામાભાઈને અડફેટમાં લીધા હતા. અકસ્માત બાદ બાઇક ચાલક ગનાભાઈ પોતાની મોટરસાઇકલ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માત અંગે મૃતકના પુત્ર સુનિતભાઈ સામાભાઈ ગામીતે (ઉં.વ. ૩૦) સોનગઢ પોલીસ સ્ટેશનમાં આરોપી બાઇક ચાલક વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચેતન રમેશભાઈ ચૌધરીને સોંપી છે.


