વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાનાં ઉક્તા ગામે પત્નીનાં અવસાનનાં પગલે નાસીપાસ થયેલ યુવકે ગળે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધું હતું. જયારે બીજા બનાવમાં વલસાડનાં મોગરાવાડી વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશનાં શ્રમજીવી યુવકે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધરમપુરનાં ઉકતા ગામનાં ધામણમાળ ફળીયા ખાતે રહેતા સચિનભાઈ ભાયલુંભાઈ નેવળ (ઉ.વ.28)ની પત્નીએ દોઢ માસ અગાઉ કોઈક અકળ કારણોસર ઝેરી દવા ગટગટાવી અંતિમ પગલું ભર્યું હતું. જોકે પત્નીના આકસ્મિક મોત બાદ સચિનભાઈ માનસિક તણાવમાં રહેતા હતા.
તે દરમિયાન મંગળવારે સચિને પણ પોતાના ઘરે નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
બનાવ અંગે નેવળે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બીજા બનાવમાં વલસાડ શહેરનાં મોગરાવાડીનાં રામનગર વિસ્તારમાં આવેલ ઓમ રેસીડન્સીનાં ફ્લેટમાં રહેતા પ્રભુનાથ ઉર્ફે પ્રભુ રામનિવાસ નિસાદ (ઉ.વ.26) મજૂરી કામ કરતો હતો. પ્રભુનાથ ઉત્તરપ્રદેશ રાજ્યનાં સંત કબીરનગર જિલ્લાનાં ખલીલાબાદ તાલુકાના ધન ખીરીયા ગામનો રહીશ હતો. ગતરોજ પ્રભુનાથના મોટા ભાઈ દિલીપે તેને મબાઈલ ફોન પર સતત કોલ કર્યા હતા. ત્યારબાદ પ્રભુનાથએ જવાબ નહિ આપતા દિલીપે તેના ભાઈના ઘરે પહોંચી તપાસ કરી હતી અને તપાસમાં પ્રભુનાથ તેના ફ્લેટમાં ગમછા વડે ફાંસો ખાધેલી હાલતમાં નજરે પડ્યા હતા.

