સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં કોસંબા નજીક આવેલ મહુવેજ ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની મુખ્ય નહેરમાં નાહવા પડેલા યુવકનો પાણીમાં ગરકાવ થયા બાદ હથુરણ ગામ નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ, માંગરોળના મહુવેજ ગામે નવાપરા ફળિયામાં રહેતો 25 વર્ષીય ગણેશભાઈ પિરૂભાઈ વસાવા ગરમીથી રાહત મેળવવા માટે રવિવારે બપોરે પોતાના મિત્રો સાથે કોસંબા નજીક મહુવેજ ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં નાહવા માટે પડયો હતો. તે સમયે પ્રવાહના ફસાયો હતો અને મિત્રોની નજર સામે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતા જ માંગરોળ સર્કલ ઓફિસર કોલ સહિતના ઉચ્ચ અધિકારીઓ, વલાલ કામરેજ, બારડોલી, માટીવા, અંકલેશ્વર અને પાનોલી ફાયરબ્રિગેડની ટીમો સાથે એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને નહેરમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી. જેથી બે દિવસની ભારે જહેમત અને સઘન શોધખોળ બાદ આખરે મંગળવારે ગણેશ વસાવાનો મૃતદેહ હથુરણ ગામ નજીક નહેરમાંથી મળી આવ્યો હતો. ઘટના અંગે કોસંબા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

