સુરત જિલ્લાનાં ઉમરપાડાના નશારપુર ગામે સ્ટેશન ફળિયામાં રહેતા પંકજભાઈ વેચાણભાઈ વસાવા જેઓ ખેતી કરે છે. ત્યારે પંકજભાઈ નશારપુર ગામની સીમમાં કાકડવા બસ સ્ટેશનની પાછળ આવેલા તેમના ખેતરમાં ખેડાણ કરાવી રહ્યા હતા. તે દરમિયાન ભૂપેન્દ્ર ગંભીર વસાવા અને આદિત્ય ભૂપેન્દ્ર વસાવા (બંને રહે.વાંકી ફળિયું, નશારપુર ગામ, તા.ઉમરપાડા) મોટરસાઈકલ લઈને ત્યાં આવી પહોંચ્યા હતા અને પંકજભાઈને કહેવા લાગ્યા હતા કે, ‘તું કેમ મારા ભાગની જમીન ખેડાણ કરે છે’ તેમ જણાવી એકદમ ઉશ્કેરાઈ જઈ ભૂપેન્દ્રએ લોખંડની ટોમીથી પંકજભાઈને ડાબા પગે સપાટો મારી મૂઢ ઈજા પહોંચાડી હતી.
ત્યારબાદ બંને આરોપીઓ ભૂપેન્દ્ર અને આદિત્યએ પંકજભાઈને પકડી રાખી ઢીકમુક્કીનો માર મારીગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પંકજભાઈએ ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

