લોકશાહીમાં જનતાના પ્રશ્નો ઉઠાવવા એ નાગરિકનો અધિકાર છે, પરંતુ ક્યારેક આ જ જાગૃતિ નાગરિક માટે મુસીબત બની જતી હોય છે. તાપી જિલ્લામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે.
વાત જાણે એમ છે .. વર્ષ 2019માં આશિષ શાહ મહેશ્વરી નામના એક જાગૃત નાગરિકે અધૂરા રેલવે ઓવરબ્રિજ અંગે સોશિયલ મીડિયા (Twitter) પર સતત રજૂઆતો કરી હતી. પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના પરિણામે તે સમયના તાપી કલેક્ટર દ્વારા આ નાગરિકના એકાઉન્ટને સત્તાવાર હેન્ડલ પરથી બ્લોક કરી દેવામાં આવ્યું હતું. નવાઈની વાત એ છે કે વર્ષ 2026માં પણ આ નાગરિક હજુ સુધી બ્લોક જ છે.
તંત્રનો વિરોધાભાસ: ફોટોમાં સાથે, પણ ઓનલાઇન પ્રતિબંધ! તાજેતરમાં તાપી કલેક્ટર કચેરી ખાતે ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 48 જેટલા લોકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બાદ કલેક્ટરના સત્તાવાર સોશિયલ મીડિયા પર જે ફોટા મૂકવામાં આવ્યા, તેમાં એ જ ‘બ્લોક’ કરાયેલા નાગરિક પણ જોવા મળ્યા હતા.
જે રેલવે ઓવરબ્રિજ માટે 2019માં રજૂઆત કરવામાં આવી હતી, તે બ્રિજ 2026માં પણ હજુ સુધી અધૂરો જ છે.પ્રશ્નો પૂછનારા નાગરિકને સોશિયલ મીડિયા પર બ્લોક કરીને તંત્રએ ટીકાઓથી બચવાનો રસ્તો અપનાવ્યો હતો. એક તરફ તંત્ર નાગરિક સાથે બેસીને પ્રશ્નો ઉકેલવાનો દેખાવ કરે છે અને બીજી તરફ તેને સોશિયલ મીડિયા પર પ્રતિબંધિત રાખે છે, આ બાબત હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહી છે.લોકશાહીની સુંદરતા તો ત્યારે ગણાય જ્યારે તંત્ર માત્ર ફોટા પડાવવા પૂરતું મર્યાદિત ન રહેતા, નાગરિકોના અવાજને સાંભળે અને વર્ષોથી લટકેલા વિકાસના કામો પૂર્ણ કરે.

