સોનગઢ તાલુકાના ચોરવાડ ગામની સીમમાં રવિવારે વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે નંબર-53 પર રાજુભાઈની હોટલ સામે એક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. વિગતો અનુસાર મૂળ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના બોદવાવ ગામનો રહીશ અરવિંદભાઈ વનકરભાઈ વસાવા પોતાની યુનિકોર્ન મોટરસાયકલ નંબર GJ-26-AG-2805 પર બે મહિલાઓ સાથે પસાર થઈ રહ્યો હતો. સવારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી તેમની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક અરવિંદભાઈ વસાવા અને પાછળ બેસેલી 13 વર્ષીય કિશોરી પ્રતિગ્યાબેન દિલીપભાઈ વસાવા (રહે.મહુપાડા) ને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.જયારે મોટરસાયકલ પર સવાર અન્ય એક મહિલા વૈશાલીબેન ગંભીરભાઈ વસાવા (ઉં.વ.25) ને ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.ઘટના બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. મૃતક અરવિંદભાઈના પિતા વનકરભાઈ સોનાભાઈ વસાવાની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

