અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરીઝમ સ્ક્વોડ (ATS) એ એક ઓપરેશન હાથ ધરીને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શંકા સાથે બે યુવકોની ધરપકડ કરી છે. આ બંને શખ્સો કથિત રીતે પ્રતિબંધિત સંગઠન ISIS ના સંપર્કમાં હોવાનું અને ભારતમાં હથિયારધારી બળવો કરવાની યોજના બનાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
ગુપ્ત માહિતીના આધારે ATS એ બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા.પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતેથી 22 વર્ષીય ઇરફાન કાલેખાન પઠાણની અટકાયત કરવામાં આવી હતી. જયારે ઇરફાનની પૂછપરછમાં મળેલી વિગતોના આધારે મહારાષ્ટ્ર પોલીસની મદદથી મુંબઈના સાકીનાકા વિસ્તારમાંથી 21 વર્ષીય ખુર્શીદ ઝાહિદ અખ્તર શેખને ઝડપી લેવામાં આવ્યો હતો.
ATS ના સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, બંને શખ્સો પાસેથી ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા છે.ઇરફાન પઠાણ સોશિયલ મીડિયા (વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ) દ્વારા આતંકવાદી સંગઠન ISIS અને અન્ય કટ્ટરપંથી જૂથો સાથે સતત સંપર્કમાં હતો.તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના હોદ્દેદારો અને અગ્રણી રાજકારણીઓને નિશાન બનાવવાની યોજના ઘડી રહ્યા હતા.આરોપીઓ RDX મેન્યુફેક્ચર કરી બોમ્બ બનાવવા અને પાકિસ્તાનથી શસ્ત્રો મંગાવવાના ફિરાકમાં હતા.પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તેઓ જેહાદી નેટવર્ક ઊભું કરી ભારતમાં ‘ગઝવા-એ-હિંદ’ સ્થાપિત કરવાના મકસદ સાથે કામ કરી રહ્યા હતા.ATS એ આરોપીઓના મોબાઈલ ફોન અને ડિજિટલ ડેટા ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.કોર્ટે બંને આરોપીઓના 11 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આગામી દિવસોમાં આ કાવતરામાં અન્ય કેટલા લોકો જોડાયેલા છે અને તેમના નેટવર્કની ઊંડાઈ કેટલી છે તે દિશામાં સઘન તપાસ ચલાવવામાં આવશે.

