વ્યારા તાલુકાના વાઘપાણી ગામે પથ્થરની ખાણમાં ડૂબી જવાથી થયેલા યુવકના મોતના મામલામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. અકસ્માત ગણાતી આ ઘટના વાસ્તવમાં પૂર્વ આયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું છે. ગભરાયેલા મિત્રએ આખરે મન મક્કમ કરી મૃતકના પિતાને સત્ય જણાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો પ્રમાણે સોનગઢ તાલુકાના અગાસવણ ગામનો ૨૮ વર્ષીય સેમ્યુઅલ બાબુભાઈ ગામીત ગત ૫ ફેબ્રુઆરીના રોજ ઘરેથી મોટર સાયકલ લઈને નીકળ્યો હતો. બીજા દિવસે સવારે તેની લાશ વાઘપાણી ગામની સીમમાં આવેલી પાણી ભરેલી જૂની ક્વોરીમાંથી મળી આવી હતી. તે સમયે આકસ્મિક મોત નો ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી હતી.
ફરિયાદ મુજબ, સેમ્યુઅલની પત્ની પ્રતિભાને આમલી ગામના નલીન નિલેશભાઈ ગામીત સાથે વર્ષ ૨૦૨૪થી પ્રેમ સંબંધ હતો. આ બાબતે અગાઉ પણ સમાધાનના પ્રયાસો થયા હતા, પરંતુ સંબંધો ચાલુ રહેતા અવારનવાર ઝઘડા થતા હતા. નલીને સેમ્યુઅલને રસ્તામાંથી હટાવવા માટે આખું કાવતરું ઘડ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે.
ઘટનાના સાક્ષી અને મૃતકના મિત્ર પ્રીન્સ ગામીતે પિતા બાબુભાઈને જણાવ્યું કે, નલીન ગામીતે તેને અને નિકુંજને કહી સેમ્યુઅલને ફોન કરીને ક્વોરી પર બોલાવ્યો હતો. ત્યાં નલીને સેમ્યુઅલને અચાનક પાણી ભરેલી ખાણમાં ધક્કો મારી દીધો હતો. સેમ્યુઅલ તરીને બહાર આવવાનો પ્રયાસ કરતો હતો ત્યારે નલીને તેને પકડીને ફરી પાણીમાં લઈ જઈ, બોચીના ભાગે દબાવી રાખી મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ મામલે કાકરાપાર પોલીસે નલીન નિલેશભાઈ ગામીત, નિકુંજ મુકેશભાઈ ગામીત અને પ્રીન્સ શૈલેષભાઈ ગામીત અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

