ધરમપુર-વાંસદા રોડ પર ખાનપુર ગામના ચાર રસ્તા પાસે ગત બુધવારે એક મારૂતિ ઓમની વાન અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૨૦ વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાના બોરદહાડ ગામનો રહેવાસી રામચન્દ્ર લક્ષ્મણભાઇ ભોયે (ઉ.વ.20) પોતાની ડ્યુક મોટરસાયકલ નંબર GJ-15-ED-6915 પર સવાર થઈને ધરમપુર ખાતે લોનનો હપ્તો ભરવા ગયો હતો. પરત ફરતી વખતે ખાનપુર ચાર રસ્તા પાસે સામેથી આવતી મારૂતિ ઓમની વાન નંબર GJ-15-PP-5254 ના ચાલક પ્રવિણભાઈ ઝીણભાઇ પવારે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અચાનક વળાંક લેતા મોટરસાયકલ સવાર યુવાન વાન સાથે અથડાયો હતો.આ અકસ્માતમાં રામચન્દ્રને છાતી અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ધરમપુર અને ત્યારબાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં રાત્રિના સમયે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ સુનિલભાઈ ભોયેએ વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

