અમદાવાદ ગ્રામ્યના દસ્ક્રોઈ તાલુકા હેઠળ આવતા ધામતવાણ ગ્રામ પંચાયતમાં સરકારી નાણાંની વ્યાપક ગેરરીતિ અને સત્તાના દુરુપયોગનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પંચાયતના સ્વભંડોળમાંથી વિકાસના કામોના નામે કોઈ પણ જાતની મંજૂરી વગર રૂપિયા ૧,૫૫,૨૩,૪૨૦/- ની ઉચાપત કરવા બદલ ACB એ પૂર્વ સરપંચ અને તત્કાલિન તલાટી-કમ-મંત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
એસીબીની તપાસમાં બહાર આવ્યું છે કે, વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૫ ના સમયગાળા દરમિયાન ધામતવાણ ગ્રામ પંચાયતના સ્વભંડોળની આવકમાંથી વિવિધ હેડ હેઠળ નાણાંનો ખર્ચ બતાવવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે માટી પુરાણના કામો,પાણી પુરવઠા અને વાટાના ખર્ચ.ઉત્સવ ઉજવણી અને અન્ય વહીવટી ખર્ચઓ.
આ તમામ કામોમાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ જ પ્રકારના ઠરાવ કરવામાં આવ્યા નહોતા કે સક્ષમ અધિકારીની તાંત્રિક મંજૂરી પણ લેવામાં આવી નહોતી. નિયમ મુજબ નિભાવવાના થતા સરકારી રેકર્ડની પણ ઘોર અવગણના કરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે.સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, પંચાયતના કર્મચારીઓના માસિક પગાર જે નિયમ મુજબ સીધા તેમના બેંક ખાતામાં જમા થવા જોઈએ, તેને બદલે ગામના VCE ના નામે બેરર ચેક લખીને રોકડ સ્વરૂપે ઉપાડી લેવામાં આવતા હતા. આ પદ્ધતિ દ્વારા સરકારી નાણાંની હેરાફેરી કરી અંગત ફાયદો મેળવવામાં આવ્યો હોવાનું એસીબીએ જણાવ્યું છે.એસીબીએ જે બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે તેમાં (૧) શ્રીમતી રેખાબેન સંજયકુમાર પારેખ (તત્કાલિન સરપંચ, ધામતવાણ ગ્રામ પંચાયત) અને (૨) હરપાલસિંહ વાઘેલા (તત્કાલિન તલાટી-કમ-મંત્રી, ધામતવાણ ગ્રામ પંચાયત) આ બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે અને અપ્રમાણસર મિલકત એકત્ર કરી હોવાનો આક્ષેપ છે.

