સોનગઢ નગરની અમનપાર્ક સોસાયટીમાં રહેતા એક પરિવારના બંધ ઘરને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ રોકડ અને દાગીના સહિત કુલ રૂ. ૮૪,૦૦૦ની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.
ફરિયાદી મહેમદજાવીદ ગુલામ કુરેશી (રહે. અમનપાર્ક સોસાયટી, સોનગઢ) ગત તા. ૦૬/૦૩/૨૦૨૬ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે પરિવાર સાથે ઘર નજીક આવેલી મસ્જીદમાં ગયા હતા. આ દરમિયાન મોડી રાત્રે અજાણ્યા ચોર ઈસમોએ ઘરની પાછળના ભાગે આવેલી ટોયલેટની વેન્ટિલેટર બારીનો કાચ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરના ઉપરના રૂમમાં મુકેલા કબાટના ડ્રોવર તોડી તેમાંથી (૧) રોકડ રકમ રૂ.૪૦,૦૦૦ (૨) મોબાઈલ ૨ નંગ કિંમત રૂ. ૩૫,૦૦૦ (૩) સોનાની એક જોડી બુટ્ટી (રૂ. ૪,૦૦૦) અને ચાંદીના સાંકળા તથા કડુ (રૂ. ૫,૦૦૦) ની મતાની ચોરી કરી હતી. તા. ૦૭/૦૩/૨૦૨૬ના રોજ રાત્રે ૧:૦૦ વાગ્યે જ્યારે પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. આ અંગે સોનગઢ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

