સોનગઢ તાલુકાના બોરદાથી કુલીવેલ તરફ જતાં માર્ગ પર રવિવારની સાંજે બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તારીખ ૦૧/૦૩/૨૦૨૬ ના રોજ સાંજે આ અકસ્માત સર્જાયો હતો. ફરીયાદી મનેષભાઈ મોહનભાઈ વસાવા (રહે. આમલપાડા તા.સોનગઢ ) તેમના મિત્ર ભીમસીંગ ભરતભાઈ વસાવા સાથે સ્પેલન્ડર મોટરસાયકલ નંબર જીજે/૨૬/એડી/૦૧૯૪ પર બોરદાના મેળામાંથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, સામેથી પૂરઝડપે આવી રહેલી યુનિકોર્ન મોટરસાયકલ નંબર જીજે/૨૨/એસ/૮૧૯૬ ના ચાલક રોહીતભાઈ સાજીયાભાઈ વસાવાએ પોતાની બાઇક બેફિકરાઈથી હંકારી સ્પેલન્ડર સાથે ધડાકાભેર અથડાવી હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર યુનિકોર્ન ચાલક ચાલુ બાઇકે પાછળ ફરીને વાતો કરી રહ્યો હોવાથી આ અકસ્માત સર્જાયો હતો. આ કરુણ અકસ્માતમાં ભીમસીંગ ભરતભાઈ વસાવા (રહે. આમલપાડા તા.સોનગઢ) ને શરીરે અને પગના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે તેમનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે રોહીતભાઈ સાજીયાભાઈ વસાવા (રહે. ખડકીમૌઉ તા. સાગબારા જિ. નર્મદા) ને પણ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું પણ મોત નીપજ્યું છે. ફરીયાદી મનેષભાઈ વસાવાને ડાબા પગે અને હાથે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ થઈ છે, જ્યારે યુનિકોર્ન પર પાછળ બેસેલ પિયુષ સુનિલભાઈ વસાવા પણ ઇજાગ્રસ્ત થયો છે. આ અકસ્માત મામલે સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

