વાલોડ તાલુકામાં અંદાજિત ૧૦૦૦ મતદારોના નામ સામે અજાણ્યા ઈસમોએ વાંધો નોંધાવ્યો હતો અને તેમના નામ મતદાર યાદીમાં કમી કરવા ખોટી સહીઓ સાથે ફોર્મ નં-૭ ભરીને આપી દીધા હતા. આ મામલે લોકોએ વાલોડ મામલતદારને આવેદન અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ગુનો દાખલ કરવા માંગ કરી છે.
મળતી માહિતી પ્રમાણે વાલોડ ટાઉનમાં અનેકો મતદારોના નામ સામે ફોર્મ નંબર ૭ મારફતે વાંધા દાખલ થયા હતા. ફોર્મ નંબર-૭ નામ કમી કરવા માટેનું ફોર્મ હોય આ ફોર્મ મતદારોની જાણ બહાર કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ભરવામાં આવ્યા હોવાની રજૂઆત મતદારોએ કરી હતી.તેઓના જણાવ્યું હતું કે, તેઓ વાલોડમાં છેલ્લા ઘણા વર્ષથી રહે છે અને ઘરો ધરાવે છે. તેઓ વિરુદ્ધ ફોર્મ નંબર ૭માં ભરેલી માહિત ખોટી આપી છે. અને તેઓ દ્વારા ક્યારેય કોઈના નામ મતદારયાદીમાંથી કમી કરાવવા અરજી કરી નથી. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા બદનામ કરવા ષડયંત્ર રચી કાવતરું ઘડાયું છે. વાલોડ પોલીસને તપાસ કરી ગુનો દાખલ કરવા રજુઆત થઇ હતી. જેને લઇ બુધવારે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. મામલતદાર કચેરીના જણાવ્યા મુજબ ૧૦૦૦ જેટલા મતદારો સામે ફોર્મ નંબર ૭ દ્વારા વાંધો નોંધાયો છે. બીએલઓ દ્વારા સ્થળ તપાસ અને ઓળખની ચકાસણી થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

