ઓસ્ટ્રેલિયા અને કેનેડાના વિઝા અપાવવાના બહાને 25 લોકો સાથે કુલ રૂપિયા 2.02 કરોડની ઠગાઈ કરવાના મામલે નડિયાદના એક વિઝા એજન્ટ સામે ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે આર્થિક ગુના નિવારણ શાખા (EOW) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, નડિયાદના જલ્પેશ ઠક્કરે પોતે વિઝા એજન્ટ હોવાનું જણાવી અનેક લોકોને વિદેશ મોકલવાના વચનો આપ્યા હતા. આરોપ છે કે તેણે ઓસ્ટ્રેલિયા અને કેનેડાના વિઝા મંજુર થયા હોવાનું દર્શાવવા માટે બનાવટી લેટરો તૈયાર કરી ફરિયાદીઓને આપ્યા હતા.વિઝા મળશે એવી વિશ્વાસ અપાવી આરોપીએ અલગ અલગ સમયમાં કુલ 25 લોકો પાસેથી મોટી રકમ ઉઘરાવી હતી. લાંબા સમય સુધી વિઝા ન મળતા તેમજ આપેલા દસ્તાવેજો ખોટા હોવાનું સામે આવતા પીડિતોએ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા બનાવટી દસ્તાવેજો, નાણાકીય વ્યવહાર અને અન્ય સંકળાયેલા લોકો અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

