સુરત શહેરના નાના વરાછા ખાતે પોતાના બનેવી સાથે રહેતા યુવકનું મોડી રાત્રે મોબાઇલ ચાર્જિંગ ઉપર મુકતી વખતે કંરટ લાગતા મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર નાનાવરાછા ખાતે આવેલ શક્તિ વિજય સોસાયટીમાં હાલમાં પોતાના બનેવી કરણસીંગ સાથે રહેતા 21 વર્ષીય અર્જુન હર્ષલ બિંદ ગત રાત્રે 12 વાગ્યે ઘરમાં મોબાઈલ ચાર્જિંગ પર મુકતો હતો ત્યારે તેને કંરટનો ઝાટકો લાગતા ત્યાં જ ઢળી પડ્યો હતો.બનેવી સહિતના લોકો તેને 108 એમ્બ્યુલેન્સ દવારા સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યા હતા.
વધુમાં સંબંધી રાકેશએ જણાવ્યું હતું કે અર્જુન મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનો વતની છે.તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.તે બે દિવસ પહેલા કડિયા કામ માટે સુરત આવ્યો હતો. અને હાલમાં બનેવી કરણ સિંગના ઘરે રોકાયેલો હતો.ગઈ કાલે તેને કામ નહીં મળતા પિતરાઈ ભાઈ સાથે ફરવા ચાલ્યો ગયો હતો,અને મોડી રાત્રે પરત આવ્યો હતો.ત્યારે મોબાઇલ ચાર્જિંગ ઉપર મુકવા જતા તેને કરંટ લાગી ગયો હતો.આ બનાવ અંગે સરથાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

