વ્યારા-માંડવી માર્ગ પર આવતું કાકરાપાર ટાઉનશીપના ગેટ સામે વિવિધ માંગણીઓ સાથે મજૂરો હડતાળ ઉપર ઉતર્યા હતા, કાકરાપાર અણુમથકનાં અસરગ્રસ્ત ગામોના પડતર પ્રશ્નોના નિરાકરણ મુદ્દે સાઈડ ડાયરેકટરને લેખિત રજુઆત અસરગ્રસ્ત ગામોના વડીલો, સરપંચો, લોકો દ્વારા કરવામાં આવી હતી.
માધ્યમો દ્વારા મળતી વિગતો પ્રમાણે કાકરાપાર ટાઉનશીપની સામે મંગળવાર નારોજ મજુરોએ હડતાળ કરી પોતાના કામોથી અળગા રહ્યા હતા. મજુરોને પુરતી હાજરી મળી રહે તેમજ વળતર સહિતના વિવિધ માંગણીઓ કરીને મજૂરીકામથી અળગા રહ્યા હતા. બીજી તરફ કાકરાપાર અણુમથકના અસરગ્રસ્ત ગામોના પડતર પ્રશ્નો મુદ્દે સરપંચો, ગામોના અગ્રણીઓ એકત્રિત થયા હતા. કાકરાપાર અસરગ્રસ્ત ગામો જેવા કે ઉંચામાળા, મોટીચેર, લીમડદા, નાનીચેર, વાંકલા, રાજવડ, બેડકુવાદુર, રતનીયા, કણજા, ઉમરકુવા, જામણકુવા, સાદડી, ઘાટા, વડકુઈ, ચાંપાવાડી, કાળાવ્યારા, નવા રતનીયા વિગેરે ગામોના સુરત અને તાપી જિલ્લાના સરપંચો, વડીલોએ કાકરાપાર સાઈડ ડાયરેકટરને લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ૧૦૦૦ કુટુંબોને વિસ્થાપિત કરવામાં આવ્યા હતા, જેમાંથી ૨૦૦ પરિવારોને નોકરી આપી હતી, જયારે ૮૦૦ પરિવારો માટે શું વ્યવસ્થા કરવામાં આવી તે જણાવશો. જમીન ગુમાવનાર તથા અસરગ્રસ્ત ગામોમાંથી જ તમામ ભરતી થવી જોઈએ, સી.એસ.આર.ના ફંડમાંથી અસરગ્રસ્ત ગામોમાં ૧૦૦ ટકા ફંડ વિકાસના કામોમાં વાપરવામાં આવે, જમીન ગુમાવનાર તથા અસરગ્રસ્ત ગામોમાંથી આવતા કોન્ટ્રાકટર સાથે કામ કરતા મજુરવર્ગને કાઢવામાં આવે નહીં, મોટીચેર, નાનીચેર, વાંકલા, રાજવર જેવા અસરગ્રસ્ત ગામોના લોકોને ઘાસચારો તેમજ પશુના ચારા માટે આઉટ સાઈડની બાઉન્ડરી અંદર પ્રવેશ આપવા છુટછાટ આપવામાં આવે તેમજ લોકલ કોન્ટ્રાકટરોને દરેક કામોમાં પ્રાથમિકતા આપવા સહિતની વિવિધ માંગણી રજૂ કરી હતી.

