સુરત શહેરમાં પાણીજન્ય રોગચાળાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. ડીંડોલીમાં બે વર્ષના બાળક અને પાંડેસરામાં પરિણીતાનું તાવ અને ઊલટીની બીમારીમાં સપડાતા મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ વ્યારાના વતની અને હાલ ડીંડોલી સણીયા કણદે ખાતે રહેતા ઈશ્વર વસાવા મજુરી કામ કરી પત્ની, એક પુત્રી અને એક બે વર્ષનો પુત્ર ઋષિકેશનું ભરણપોષણ કરે છે. ઋષિકેશને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો. જેથી ઘર નજીકના દવાખાનામાંથી દવા લીધી હતી. બાદમાં ગઈકાલે રાત્રે ઉલટી થયા બાદ વધુ તબિયત લથડતાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.બીજા બનાવવામાં મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં આવેલ હરિઓમ નગરમાં ૨૨ વર્ષીય જ્યોતિ બ્રિજેશ સરોજ પરિવાર સાથે રહેતી હતી. તેમના પતિ બ્રિજેશ મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યોતિને છેલ્લા બે દિવસથી તાવ અને ઉલટી થઈ રહી હતી. જેથી ઘરે નજીકની ખાનગી દવાખાનામાંથી દવા લીધી હતી. પરંતુ તબિયતમાં કોઈ સુધારો થયો નહતો. ગઇ કાલે તેમની વધુ તબિયત લથડતા સિવિલ ખસેડાઈ હતી. જ્યાં તેનું મોત થયું હતું.

