ગાંધીનગર શહેર અને સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે અને હવે તેનો સંક્રમણ ગ્રામ્ય વિસ્તારો સુધી પ્હોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ છ કેસ પ્રકાશમાં આવ્યા છે જેના પગલે ગાંધીનગરમાં કોરોનાના દર્દીઓનો આંકડો ૯૩ સુધી પહોંચી ગયો છે. જે ચિંતાજનક છે. ગાંધીનગરમાંથી વધુ છ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જે પૈકી કલોલના સાઈઝ વિસ્તારમાં રહેતા ૭૪ વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને તાત્કાલિક હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
તેઓ ખાનગી નોકરીમાં હતાં બીજી તરફ, રતનપુરના એક યુવાનને તાવ તથા અન્ય તકલીફો જણાતા ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
હાલ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. કોર્પોરેશન વિસ્તારમાંથી પણ નવા ચાર કેસ નોંધાયા છે. સરગાસણ વિસ્તારમાં રહેતી એક ગૃહિણી, સેક્ટર-૫ના ૪૦ વર્ષીય યુવાન કે જે કડીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ ઉપરાંત પાલજ આઇઆઇટીના ૪૬ વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો વીઆઇપી સેક્ટર-૮માં રહેતી ૪૬ વર્ષની એક ગૃહિણી પણ કોરોનામાં પટકાઇ છે.ગાંધીનગરના તમામ નવા કોરોનાગ્રસ્ત દર્દીઓને હાલ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તેમના પ્રાથમિક સંપર્કમાં આવેલા વ્યક્તિઓની તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે અને સંભવિત સંક્રમણ અટકાવવાના પ્રયાસો પણ ઝડપથી હાથ ધરવામાં આવ્યા છે.

