દેશના આદિવાસી આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય, નવી દિલ્હી દ્વારા મંજૂર કરવામાં આવેલ “ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)” અંતર્ગત તાપી જિલ્લામાં તા.૧૫ જૂનથી ૩૦ જૂન ૨૦૨૫ દરમિયાન વિશેષ ઝુંબેશ હાથ ધરાશે. જેના અનુસંધાને તાપી જિલ્લા ઇંચા.કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષપણા હેઠળ કલેકટર સભાખંડ ખાતે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનના આયોજન અંગે બેઠક યોજાઈ હતી.
જેમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, આ અભિયાન તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારોના જીવનસ્તરને ઉન્નત બનાવવા માટે મહત્વની તક છે. આદિમ જૂથના લોકોના આધાર કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ (PM-JAY), જાતિનું પ્રમાણપત્ર, PM-KISAN નો લાભ સૌને મળી રહે તે માટે સ્થાનિક વહીવટીતંત્ર, વિભાગીય સંકલનની સક્રિય ભાગીદારી સાથે પાત્રતા ધરવતા આદિવાસી પરિવારો સુધી પહોચાડવા માટે સુયોગ્ય વ્યવસ્થા ઉભી કરવાની રહશે.
વધુમાં આદિવાસી સમુદાયના ઉત્થાન માટે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે માટેની કામગીરી કરવામાં આવે તેમજ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ-ગામના તલાટી, ગ્રામસેવકો, આંગણવાડીની બહેનો,આશા બહેનોના સહયોગ વડે આ ઝુંબેશ વધુ અસરકારક બને તે મુજબનું આયોજન કરવા કલેક્ટરએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
પ્રાયોજના વહિવટદારએ સમગ્ર ઝુંબેશની માહિતી આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લો એક આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો હોવાથી જિલ્લામાં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન એ વર્ષ ૨૦૨૪-૨૫થી શરૂ કરીને વર્ષ ૨૦૨૮-૨૯ સુધી ચલાવવામાં આવશે. જેમાં જુદા-જુદા પ્રકારની ૧૭ મીનીસ્ટ્રી છે, જેમાં આદિવાસી સમુદાય માટે વિવિધ પ્રકારની સ્કીમો ચાલે છે તે અંતરિયાળ ગામો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવાના છે. આ યોજના હેઠળ તાપી જિલ્લાના ૭ તાલુકાના ૩૬૯ આદિવાસી ગામોમાં ૧૫ જૂનથી ૩૦ જૂન ૨૦૨૫ દરમિયાન બ્લોક ક્લસ્ટર મુજબ જાગૃતિ કાર્યક્રમો, લાભો વિતરણ,કેમ્પો અને I.E.C. પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે એમ ઉમેર્યું હતું.
આ યોજનામાં વ્યકિતગત આવાસ યોજના હેઠળ આવાસો આંગણવાડીના સહયોગ થકી મહિલા અને બાળકોનું સ્વાસ્થ્ય અને પોષણ સંબંધિત કામગીરી, સિકલસેલ એનીમિયાના નિવારણને પ્રાથમિકતા આપવામાં આવશે તથા અન્ય લાભો જેમ કે આધાર કાર્ડ, જાતિના દાખલા,આયુષ્માન કાર્ડ, જનધન ખાતા, પી.એમ. કિસાન કાર્ડ, વગેરેનો લાભ લાભાર્થીને આપવામાં આવશે. ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ યોજનામાં સૌથી મહત્વની ભૂમિકા ગ્રામજનોની હોય છે. ગ્રામજનોના સાથ-સહકાર મળે એ જરૂરી છે. જેથી દરેક ગામડાઓમાં ખૂટતી વ્યવસ્થાઓ અંગેનું યોગ્ય પ્લાનિંગ થાય એ ખુબ અગત્યનું છે. દરેક વ્યક્તિને મોટાભાગની સુવિધાઓ મળે તે માટેના વહીવટી તંત્ર તરફથી પૂરતા પ્રયાસો કરવામાં આવશે. આ યોજના થકી આદિવાસી પરિવારો આર્થિક સમૃધ્ધિ થકી આત્મનિર્ભર બની શકશે. રાજ્ય સરકાર આદિવાસી સમાજની ઉન્નતિ માટે સતત પ્રયત્નશીલ રહી છે. આદિજાતિ વિભાગના યોજનાકીય લાભો મૂળ લાભાર્થીઓ સુધી પહોંચે અને આદિવાસી પરિવારોનો સર્વાંગી વિકાસ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબધ્ધ છે.

