ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા વિશ્વને અદમ્ય સાહસ અને વીરતાનો પરિચય આપ્યો છે, ત્યારે મા ભારતીના સપૂતોને વંદન કરવા, ભારતીય સેનાના સન્માન માટે માંડવી ખાતે આશાપુરા મંદિરથી એસટી બસ ડેપો સુધીની ભવ્ય તિરંગાયાત્રા યોજાઈ હતી.
આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ પ્રભુભાઈ વસાવા તિરંગા પદયાત્રામાં સહભાગી બન્યા હતા. ૪૨ ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગાયાત્રામાં રાષ્ટ્રભાવનાના જયઘોષ સાથે ‘ભારત માતા કી જય, વંદે માતરમ, ભારતીય સેના જિંદાબાદ’ ના નારાઓ સાથે માંડવીના નગરજનો જોડાયા હતા.ભારતીય સેનાના શૌર્ય, પરાક્રમ, વીરતાને બિરદાવવા તેમજ પહલગામ આતંકી હુમલા માટે જવાબદાર પાકિસ્તાન સામે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહી માટે તેમનું અભિવાદન કરવા માટે આયોજિત તિરંગા યાત્રામાં જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રી જીગર નાયક, અગ્રણી રોહીત પટેલ, જિ. પંચાયતના સભ્યો, એનજીઓ, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત નગરજનો સહભાગી બન્યા હતા.

