રૂપિયા ૧૫ હજારની લાંચ લેતા ઝડપાયેલા જીએસટી અધિકારીના એસીબીએ ૩ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે. નિલેશ પટેલે અન્યોના રિફંડની અરજીઓ પેન્ડિંગ રાખી છે કે કેમ તે દિશામાં તપાસ કરાઈ રહી છે.
મળતી વિગતો પ્રમાણે રેગ્યુલર ટેક્ષ ભરતા વેપારીએ કાયદેસરનું રિફંડ મેળવવા અરજી કરી હતી. જ્યાં રાજ્યકર ભવન, ચોથો માળ, ઘટક-૬૧માં જીએસટી અધિકારી નિલેશ બચુભાઈ પટેલે ૨૦ હજારની લાંચ માંગી હતી. ૮૭ હજારનું રિફંડ પરત કરવા લાંચ મંગાતા વેપારીએ કરેલી આજીજીના અંતે ૧૫ હજારમાં સેટલમેન્ટ થયું હતુ. વેપારીએ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી દીધી હતી.એસીબીએ ટ્રેપ ગોઠવતા નિલેશ પટેલ રાજ્યવેરા અધિકારીની ઓફિસમાં જ વેપારી પાસે રૂા. ૧૫ હજારની લાંચ લેતા એસીબીની ઝપટે ચઢી ગયા હતા. ક્લાસ-૨ ઓફિસર નિલેશ પટેલ મુળ વલસાડના ચણવઈ ગામના વતની છે. એસીબીએ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આગામી તા. ૨૪મીના સવારે ૧૧ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. લાંચિયા અધિકારી નિલેશ પટેલે અન્ય કોઈ વેપારી પાસે લાંચ માંગી છે કે કેમ?, તેની પાસે બીજા ચાર્જ હોય રિફંડ માટેની અન્ય વેપારીઓની મલિન ઇરાદે અરજી પેન્ડિંગ રાખી છે કે કેમ? તે દિશામાં પણ તપાસ કરાઈ રહી છે. અન્ય સરકારી અધિકારી-કર્મચારીની સંડોવણી મામલે તપાસ પણ ચાલી રહી છે.

