વ્યારાના ઉંચામાળા ગામના એક બંધ મકાનનું તાળું તોડી અંદર ઘૂસેલા ચોરને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો.મૂળ બિહારનો વતની અને હાલમાં બેડકુવાદુર ગામે રહેતો વિનય યાદવ નામનો શખ્સ ચોરીના ઇરાદે મકાનમાં ઘૂસ્યો પરંતુ સફળ થયો ન હતો.
મળતી માહિતી પ્રમાણે વ્યારા તાલુકાના ઉંચામાળા ગામના ડુંગરી ફળિયામાં સુનિલભાઈ દિવાનભાઈ ગામીતના નાનાભાઈ દિવ્યેશભાઈનું મકાન આવેલું છે. દિવ્યેશભાઈ તથા તેમનો પરિવાર વ્યારા ખાતે ભાડેથી રહે છે, જ્યારે રજાના દિવસોમાં ગામના મકાનમાં આવે છે. ગત્ તા. ૫-૩-૨૫ના રોજ સુનિલભાઈ ચાલવા માટે ગયા હતા તે દરમિયાન ભાઈના મકાનના મેઈન દરવાજાનું તાળું તૂટેલું હતું. દરવાજો ખુલ્લો જોવા મળતા જેઓ ચોંકી ગયા હતા.તેઓને ચોરીની આશંકા લાગતા મેઇન દરવાજાને બહારથી બંધ કરી તેમના મિત્રોને જાણ કરી હતી. આ સમયે ચોર ઘરમાં પુરાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ પોલીસને બોલાવી ચોરને સોંપી દીધો હતો. પોલીસે પૂછપરછ કરતા ચોરે પોતાનું નામ વિનયકુમાર વિક્રમાકુમાર યાદવ (રહે. હાલ બેડકુવાદુર, અણુમાલા પ્લાન્ટ જવાના રસ્તાની બાજુમાં આવેલ કાનજીભાઈની ખોલીમાં-મૂળ રહે.રામપુર રૂદ્ર થાના-પાનાપુર, જિ. છપરા, સરન-બિહાર) જણાવ્યું હતું.

