તાપી જિલ્લાની પ્રાથમિક શાળામાં શાળા સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે, રતન જ્યોતના ઝેરી બી ખાઈ જતાં પ્રાથમિક શાળાના બાળકોની એકાએક તબિયત લથડી છે,આ તમામ બાળકોને જુદીજુદી ૩ જેટલી ૧૦૮ની મદદથી સારવાર માટે વ્યારાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સોનગઢ તાલુકાનાં સાંઢકુવા ગામે પ્રાથમિક શાળાના બાળકોએ એકાએક રતન જ્યોતના ઝેરી બી ખાઈ જતાં તેમની તબિયત લથડી ગઈ હતી.તમામ બાળકોને તાબોડતોડ ઈમરજન્સી સેવા ૧૦૮ની મદદથી સારવાર માટે વ્યારાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેની તબીયત સ્થિર હોવાનું જાણવા મળે છે.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં સાંઢકુવા ગામની પ્રાથમિક શાળામાં આજરોજ કેટલાક બાળકો રમી રહ્યા હતા તે સમયે ૨૬ જેટલા બાળકોએ કોઈ ખાવાની ચીજ વસ્તુ સમજી રતન જ્યોતના ઝેરી બી ભૂલમાં ખાઈ લીધા હતા. બી ખાવાથી બાળકોની તબિયત અચાનક બગડી હતી અને ઉલ્ટી શરૂ થતાં તમામને ૧૦૮ની મદદથી વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
બાળકોનાં વાલીઓ પણ દવાખાને પહોંચી ગયા હતા. તમામ ૨૬ જેટલા બાળકોને હોસ્પિટલમાં તત્કાલીક સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ તમામની તબિયત સુધારા પર છે. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છેકે, શાળા દરમિયાન રતન જ્યોતના ઝેરી બી બાળકો સુધી કઈ રીતે પહોંચ્યા ? શાળાના આચાર્ય સહિત શિક્ષકગણ શું કરી રહ્યા હતા તે એક ચર્ચાનો વિષય બન્યો છે.

