સોનગઢ તાલુકાના ચિમકુવા ગામમાં ‘આપણી લાઇબ્રેરી’ના નામથી ૭૬માં ગણતંત્ર દિન જેવા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નવનીતમ લાઇબ્રેરીનું અનાવરણ કરવામાં આવ્યુ. આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન લાઇબ્રેરી માટેની સામગ્રીના દાતા બાલકૃષ્ણભાઈ અંબાલાલ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. બાલકૃષ્ણભાઈ આણંદના વતની છે અને અમરિકાના શિકાગોમાં સ્થાયી થયેલા છે. ચીમકુવા પ્રાથમિક શાળાના રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકના પ્રદીપકુમાર આર.ચૌધરીના સંકલ્પ અને આયોજનથી ગામમાં લાઇબ્રેરીના સ્વપ્નનું મૂર્તિમંત થયું. પ્રદીપભાઈની આગવી કોઠાસૂઝ અને દાતાશ્રીઓ સાથે સતત પ્રત્યાયન કરીને તેમણે લાઈબ્રેરી શરૂ કરાવવા માટે નેમ લીધી હતી.
આ લાઇબ્રેરી થી આદિજાતિના ગરીબ બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં પોતાનું કૌવત બતાવવાની તક મળશે તેમજ વાંચન રસિકોને વાંચન સાહિત્ય મળી રહેશે. લાઇબ્રેરીના દાતા એવા બાલકૃષ્ણભાઈએ ૨ લાખ ૫૦ હજારના ખર્ચે, પુસ્તકો, ફર્નિચર તથા ત્રણ કોમ્પ્યુટર બાળકોના ઉપયોગ માટે દાનમાં આપેલા છે. ગણતંત્ર દિનના રોજ યોજાયેલી ઉદ્ઘાટન સમારોહમાં દાતાશ્રીઓ, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો તથા પંચાયતની ટીમ હાજર રહ્યા હતા. તમામ લોકોએ આવા કાર્યનેબિરદાવ્યું હતું. આ લાઈબ્રેરીમાં ચીમકુવા ઉપરાંત દોણ, ટોકરવા, ખોખસા તેમજ આજુબાજુના અન્ય ગ્રામીણ વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ વાંચન રસિકો આવે છે.

