કચ્છના સીમાવર્તી લખપત તાલુકાના દયાપર ખાતે આવેલા મા આશાપુરાના જગવિખ્યાત સ્થાનક એવા માતાના મઢમાં પરંપરાગત માતાજીની મેરૈયા આરતી બાદ વાજતે ગાજતે મઢ જાગીર અધ્યક્ષ તેમજ ગ્રામજનો અને ભાવિકો સાથે બજારમાં મેરૈયા યાત્રા નીકળી હતી અને મંદિર આસપાસની બજારના હિન્દુ- મુસ્લિમ વેપારીઓ મેરૈયામાં ભાવપૂર્વક તેલ પૂરાવી માતાજી પ્રત્યેની શ્રદ્ધા દર્શાવી હતી.
દર વર્ષે દીપોત્સવી પર્વની મોડી સાંજે મા મઢવાળીની સંધ્યા આરતી બાદ મઢ જાગીર અધ્યક્ષ દ્વારા પરંપરાગત મેરૈયા દ્વારા આરતી ઉતારવામાં આવે છે. આરતી ઉતાર્યા બાદ બજારમાં વાજતે ગાજતે મેરૈયા યાત્રા નીકળે છે, જેમાં જાગીર અધ્યક્ષ તેમજ ગ્રામજનો સાથે અહીં આવેલા યાત્રિકો સહિતના લોકો જોડાય છે.બજારમાં આ યાત્રા દરમિયાન દરેક ધર્મના વેપારીઓ દ્વારા મેરૈયામાં તેલ પુરાવામાં આવે છે.આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવેએ જણાવ્યું હતુંમ, કે મેરૈયા આરતી દરમિયાન મઢ જાગીર અધ્યક્ષ અહીં ચૈત્રી નવરાત્રી દરમિયાન યોજાતા હવન સમય જે પોશાક ધારણ કર્યો હોય,તે જ પોશાક રાજા બાવા ધારણ કરીને માતાજીની આરતી ઉતારે છે.

