વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. દરમિયાન ગત રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 280 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આજે સવારે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પલ કરી હતી.
વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદમાં 7:30 વાગે પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહ્યાં હતાં, જ્યાં તેઓ સુરક્ષાદળોની પરેડની સલામી ઝીલી સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. જેમાં ‘હું પ્રતિજ્ઞાપૂર્વક શપથ લઉં છું કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે હું મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓમાં આ સંદેશ ફેલાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો પણ કરીશ. હું મારા દેશની એકતાની ભાવનાથી આ શપથ લઈ રહ્યો છું, જે સરદાર વલ્લભભાઈ પટેલની દૂરંદેશી અને કાર્યોથી શક્ય બન્યું છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારા હિસ્સાનું યોગદાન આપવાનો પણ સંકલ્પ કરું છું.
શપથ બાદ યુનિટી ડે પરેડ શરૂ થઈ ગઈ છે. જેમાં નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસની 16 માર્ચિંગ ટુકડીઓ, ચાર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચિંગ બેન્ડ આ પરેડમાં ભાગ લઈ રહ્યા છે.એકતાનગર કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે. જેમાં ખાસ રાષ્ટ્રીય એક્તા પરેડ સૌથી મોટું આકર્ષણ છે. કેમ કે આ રાષ્ટ્રીય એકતા પરેડમાં દેશના NSG કમાન્ડો, ચેતક કમાન્ડો, આર્મી, બી.એસ એફ, એરફોર્સ, સહિત CISF,SRP, NCCના કેડેટ સહિત સુરક્ષા ફોર્સે પોતાના વિવિધ કરતબો રજૂ કર્યા હતા. પરેડ બાદ કેવડીયા ખાતે હાલ સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો છે.દેશના રાજકીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનના સન્માનમાં 31મી ઓક્ટોબરના રોજ ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2014માં ભારત સરકારે સરદાર પટેલની જન્મજયંતિએ ઉજવણીની શરૂઆત કરી હતી.

