ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને દલિત સમુદાયના લોકોએ ગાંધીનગર સ્થિત પોલીસ ભવન સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. એસસી-એસટી સેલના ઈન્ચાર્જ એડીજીપી રાજકુમાર પાંડિયન સામે આક્રોશ વ્યક્ત કરીને ડીજીને આવેદન પત્ર આપ્યું હતું અને એડીજીપીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
પ્રદર્શન દરમિયાન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભામાં નેતા વિપક્ષ અમિત ચાવડા સહિત કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકર્તા પણ હાજર રહ્યા હતા. મેવાણીએ એસસી-એસટી સેલના ઈન્ચાર્જ એડીજીપી રાજકુમાર પાંડિયન પર અભદ્ર વ્યવહાર કરવાનો અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે રાજકુમાર પાંડિયને કોંગ્રેસ ધારાસભ્યના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
શું છે મામલો : 15 ઓક્ટોબર,2024ના રોજ કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી એસસી-એસટી સેલના ઈન્ચાર્જ રાજકુમાર પાંડિયનને મળવા પહોંચ્યા હતા. રાજકુમાર પર આરોપ લગાવતાં કોંગ્રેસ ધારાસભ્યએ કહ્યું કે એટ્રોસિટી એક્ટમાં ગુજરાતને ન્યાય નથી મળી રહ્યો. માત્ર 5 ટકા કેસમાં દલિતોને ન્યાય મળી રહ્યો છે. આ ગંભીર સ્થિતિ છે. દલિતોની 20,000 વીઘા જમીન પર ગુંડાઓનો કબજો છે. આને લઈ રાજકુમાર પાંડિયનને મળવા તેમની ઓફિસે ગયા તો અમારી સાથે અભદ્ર વ્યવહાર કર્યો. ઉપરાંત બીજી વખત આ ચેમ્બરમાં નહીં આવતા તેમ કહ્યું હતું. મેવાણીએ એમ પણ કહ્યું- જો એક ધારાસભ્ય સાથે આવો વ્યવહાર કરશો તો આમ આદમી સાથે કેવો વ્યવહાર કરતા હશે.
પાંડિયનને સસ્પેન્ડ કરવાની માંગ કરી મેવાણીએ કહ્યું, પ્રદર્શન દરમિયાન જિજ્ઞેશે કહ્યું કે જો પાંડિયનને સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો આ મોરચો પાંચ ગણો વધારે હશે, રાજકુમાર પાંડિયન થોડા વર્ષો પહેલા 7 વર્ષ જેલની સજા કાપીને આવ્યા છે. જો મારી, મારા પરિવાર અને મારી ટીમના કોઈ સભ્યને કોઈપણ પ્રકારનું નુકસાન થશે તો તેના જવાબદાર રાજકુમાર પાંડિયન હશે. કોઈ પર જીવલેણ હુમલો થશે તો જવાબદાર રાજકુમાર પાંડિયન હશે.
અમિત ચાવડાએ શું કહ્યું ? : વિપક્ષ નેતા અમિત ચાવડાએ કહ્યું, ભાજપ સરકારના અધિકારીઓ દ્વારા લોકોનો અવાજ દબાવી રહી છે. અમારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દલિતોની સમસ્યાને લઈ જ્યારે રાજકુમાર પાંડિયન પાસે ગયા તો તેમણે અભદ્રતા કરી અને ધમકી આપ. આવા અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ અને જિજ્ઞેશ મેવાણીને સુરક્ષા ઉપલબ્ધ કરાવવી જોઈએ.

