Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાપુતારા ખાતે તા.૨૯ જુલાઈએ ‘મોન્સૂન ફેસ્ટિવલ’નો ઉદ્ઘાટન સમારંભ યોજાશે

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથે સાથે, સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા.૨૯ જુલાઈના રોજ ‘મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪’નો ઉદ્ઘાટન સમારંભ યોજાનાર છે.

ગુજરાત સરકારનાં પ્રવાસન નિગમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સહિત પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગનાં મંત્રી શ્રી મુળુભાઈ બેરા, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ-વ-ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ પણ ઉપસ્થિત રહેશે. મુખ્ય અતિથિ તરીકે વલસાડ-ડાંગનાં સંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ, વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગનાં ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, ઉપરાંત TCGL ના મેનેજીંગ ડિરેકટર સુશ્રી એસ.છાકછુઆક, ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી, પ્રવાસન, દેવસ્થાન, નાગરિક ઉડયન અને યાત્રાધામ, ઉધોગ અને ખાણ વિભાગનાં સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે ગિરિમથક સાપુતારા ખાતે શરૂ થનારા ‘મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪’ કે જે મુખ્યત્વે પ્રવાસીઓને આકર્ષવા સાથે સ્થાનિકોને રોજગારી પુરી પાડવા સાથે, સાપુતારાનો સર્વાંગીણ વિકાસ કરવાના ઉદ્દેશયથી યોજવામાં આવે છે. ત્યારે આ પર્વમાં પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભાગ લઈ, મોન્સૂન ફેસ્ટિવલને સાર્થક બનાવે તે માટે કમિશનર ઓફ ટુરિઝમ અને મેનેજીંગ ડિરેકટર સુશ્રી એસ.છાકછુઆકે અપીલ કરી હતી.’મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪’ પર્વ કાર્યક્રમનાં પૂર્વ આયોજન સંદર્ભે ગુજરાત સરકારનાં ટુરિઝમ વિભાગ તેમજ ડાંગ જિલ્લા વહીવટી તંત્રનાં અધિકારીશ્રીઓ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચકાસી, સુચારુ આયોજન થાય તે માટે સ્થળ મુલાકાત લીધી હતી.જેમાં કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીએ પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, વીજ, આરોગ્ય, માહિતી અને પ્રસારણ, તેમજ વન વિભાગ જેવા સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓને, સંબંધિત કાર્યક્રમની આનુષાંગિક કામગીરી સત્વરે પુર્ણ કરવા જણાવ્યું હતું.

‘મોન્સૂન ફેસ્ટિવલ’ માટે કેમ સાપુતારા જ…? : સાપુતારાના સર્વોચ્ચ બિંદુ પર આવેલો ટેબલ ટોપ પોઈન્ટ શાંત વાતાવરણ, અને ઠંડા પવનોથી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. અહિં પ્રવાસીઓ ઘોડે સવારીનો અનુભવ પણ કરી શકે છે. જેમ સુર્યાસ્ત થાય તેમ પ્રવાસીઓ રોમાંચક રોપ વે રાઈડ માટે સનસેટ પોઈન્ટ તરફ ઉમટે છે. સાપુતારા તળાવના વિહંગમ નજારા સાથે કેબલ કારની મુસાફરી પણ પ્રવાસીઓને રોમાંચક અનુભૂતિ કરાવે છે. આમ, પરિવાર અને મિત્રો સાથે ફરવા માટેનું સ્થળ શોધી રહ્યા હો તો સાપુતારાની મુલાકાત તમને મનમોહક દ્રશ્યો અને શાંત વાતવરણ સાથે યાદગાર અનુભવનું વચન આપે છે.

Advertisement
error: Content is protected !!