અમદાવાદ: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના લીધે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાતા વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું હતુ. જેની સીધી અસર શાકભાજીના ભાવ પર જોવા મળી છે. આજે અમદાવાદના APMC માર્કેટમાં શાકભાજીની આવકમાં વધારો થતા તેના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
સામાન્ય રીતે ઉનાળામાં શાકભાજીના ભાવ વધી જતા હોય છે. કારણ કે ગરમીના લીધે શાકભાજી ઝડપથી બગડી જાય છે. તથા તેની ખેતી કરવા માટે પણ પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. પરંતુ જો યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો શાકભાજીના છોડ અને વેલા સૂકાઈ જાય છે. જેના લીધે શાકભાજીના ભાવમાં વધારો થતો હોય છે. પરંતુ હાલ હવામાનમાં થતા ફેરફારને લીધે ગુજરાત અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
આમ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટ્યુ હતું. જેના લીધે આજે શાકભાજીના ભાવમાં 2 રૂપિયાથી લઈને 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેમાં ટામેટા, આદુ, દૂધી, કાકડી, મેથી અને બીટના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે રીંગણ, ફૂલાવર, ચોળી, વટાણા, કારેલા, ગાજર, રતાળુ, પરવર, ગિલોડા, રવૈયા વગેરે શાકભાજી પણ સસ્તા બન્યા છે. આમ મોટાભાગના શાકભાજીના ભાવ ઘટતા ગૃહિણીઓ ખુશ થઈ ગઈ હતી. તથા શાકભાજી ખરીદવા માટે તેમણે વધારે રૂપિયા ચૂકવવા નહિ પડે.
અમદાવાદ APMC માર્કેટમાં જો આજના શાકભાજીના ભાવની વાત કરીએ તો બટાકા 20 રૂપિયા પ્રતિ કિલો, ડુંગળી 21 રૂપિયા પ્રતિ કિલો, રીંગણ 12 રૂપિયા પ્રતિ કિલો, કોબીજ 12 રૂપિયા પ્રતિ કિલો, ફૂલાવર 25 રૂપિયા પ્રતિ કિલો, વાલોર 60 રૂપિયા પ્રતિ કિલો, ટામેટા 13 રૂપિયા પ્રતિ કિલો, ચોળી 60 રૂપિયા પ્રતિ કિલો, મરચા 25 રૂપિયા પ્રતિ કિલો તથા લીંબુ 100 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો છે.
જ્યારે આદુ 110 રૂપિયા પ્રતિ કિલો, દૂધી 12 રૂપિયા પ્રતિ કિલો, વટાણા 70 રૂપિયા પ્રતિ કિલો, ભીંડા 45 રૂપિયા પ્રતિ કિલો, કાકડી 30 રૂપિયા પ્રતિ કિલો, કારેલા 45 રૂપિયા પ્રતિ કિલો, ગુવાર 35 રૂપિયા પ્રતિ કિલો, મેથી 50 રૂપિયા પ્રતિ કિલો, કોથમીર 25 રૂપિયા પ્રતિ કિલો, ફૂદીનો 20 રૂપિયા પ્રતિ કિલો, ગાજર 20 રૂપિયા પ્રતિ કિલો અને સૂકું લસણ 210 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો છે.
આ સિવાય રતાળુ 60 રૂપિયા પ્રતિ કિલો, સુરણ 80 રૂપિયા પ્રતિ કિલો, સરગવો 25 રૂપિયા પ્રતિ કિલો, પરવર 30 રૂપિયા પ્રતિ કિલો, ગિલોડા 50 રૂપિયા પ્રતિ કિલો, તુરિયા 35 રૂપિયા પ્રતિ કિલો, ગલકા 10 રૂપિયા પ્રતિ કિલો, બીટ 12 રૂપિયા પ્રતિ કિલો અને રવૈયા 28 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો છે.
શાકભાજી માર્કેટના વેપારીઓએ જણાવ્યુ હતુ કે ત્રણ દિવસ પહેલાના ભાવની સરખામણીમાં આજે શાકભાજીના ભાવમાં 2 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. પરંતુ ઉલ્લેખનીય છે કે જો વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતુ જશે અથવા માવઠાની અસર વધુ વર્તાશે તો શાકભાજીના ભાવ ઊંચકાઈ શકે છે.
શાકભાજીના ભાવમાં થતી વધ-ઘટ શાકભાજીના જથ્થા અને માંગ આધારિત નક્કી કરવામાં આવે છે. આ સાથે વાતાવરણમાં થતા ફેરફાર, સિંચાઈના પાણીની જરૂરિયાતો, શાકભાજીની ક્વોલિટી અને જથ્થો, આયાત-નિકાસનો ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ તેમજ અન્ય વધારાના ખર્ચને આધારે શાકભાજીનો ભાવ નક્કી થાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

