વ્યારા : વ્યારા તાલુકાના કપુરા ગામની સીમમાં વ્યારા-ઉનાઈ રોડ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવેલી મોપેડે પાછળથી સ્પ્લેન્ડર મોટરસાઇકલને ટક્કર મારતાં દંપતી અને તેમનું ચાર વર્ષનું બાળક ઇજાગ્રસ્ત થયું હતું. સારવાર અને વાહનના રિપેરિંગનો ખર્ચ આપવાની ખાતરી બાદ ફરિયાદ કરવામાં આવી નહોતી, પરંતુ બાદમાં ખર્ચ આપવાનો ઇનકાર કરતાં મોપેડચાલક સામે વ્યારા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રૂપવાડા (ગાંધી ફળિયું, તા. વ્યારા) ખાતે રહેતા પિયુષભાઈ જયંતીભાઈ ચૌધરી તા. ૬ સપ્ટેમ્બરે પત્ની પલ્લવીબેન (ઉ.વ. ૨૩) અને ચાર વર્ષના પુત્ર જૈનીશ સાથે સ્પ્લેન્ડર મોટરસાઇકલ નમ્બર GJ-26-AF-7249 પર વ્યારા ગયા હતા. પરત ફરતી વખતે કપુરા બસ સ્ટેશન નજીક નાની નહેર પાસે પિયુષભાઈ જમણી તરફ વળી રહ્યા હતા ત્યારે પાછળથી આવેલી મોપેડ નમ્બર GJ-26-AF-1907ના ચાલક ભાવેશભાઈ અશોકભાઈ ગામીત (રહે. ગડત ગામ, તા. ડોલવણ)એ મોટરસાઇકલને ટક્કર મારી હતી.
અકસ્મતમાં પિયુષભાઈને હાથ અને ઘૂંટણમાં, પલ્લવીબેનને માથાના ભાગે તથા બાળક જૈનીશને હાથ અને ખભામાં ઇજાઓ થઈ હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ત્રણેયને વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બાદમાં મોપેડચાલકે સારવાર તથા મોટરસાઇકલના રિપેરિંગનો ખર્ચ આપવાનો ઇનકાર કરતાં પિયુષભાઈએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભાવેશભાઈ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


