વ્યારા તાલુકાના બોરખડી પાટિયા પાસે નેશનલ હાઈવે નં. ૫૩ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં મોપેડ ચલાવી રહેલા એક ૪૩ વર્ષીય ચાલકનું માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી કરૂણ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, બોરખડી ગામના તિલક ફળિયામાં રહેતા કિરણભાઈ ચુનીલાલ ચૌધરી (ઉ.વ. ૪૩) ગત ૨૯ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ બપોરે આશરે બે વાગ્યે પોતાની સુઝુકી એક્સેસ મોપેડ લઈને મજૂરીકામ અર્થે ઘરથી નીકળ્યા હતા. તેઓ સુરતથી વ્યારા તરફ જતા નેશનલ હાઈવે પર બોરખડી પાટિયા પાસેથી બાજીપુરા તરફની લેનમાં રોંગ સાઈડમાં મોપેડ હંકારી રહ્યા હતા.
ડ્રાઇવિંગ દરમિયાન મોપેડના સ્ટેરિંગ પરથી કાબુ છૂટી જતાં વાહન રોડ પર સ્લીપ થઈ ગયું હતું, જેને કારણે કિરણભાઈ નીચે પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા વ્યારા જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.આ સમગ્ર મામલે મૃતકના પુત્ર રોહિતભાઈ કિરણભાઈ ચૌધરીની ફરિયાદના આધારે વ્યારા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને કાયદેસરની આગળની તપાસ હાથ ધરી છે.


